Skip to main content

To read this article in English Language click here.

પ્રકૃતિ, ધર્મ, આયુર્વેદ, વિજ્ઞાન ; અદભુત સમન્વય.

આપણી આસપાસ નું વાતાવરણ એ કુદરતે  આપેલી અનમોલ ભેટ છે. હવા, પાણી, ખોરાક, અને આબોહવા એ જીવન માટે ની પાયા ની જરૂરિયાતો છે. છતાં આ આબોહવા અને વાતાવરણ ની કેટલાંક અંશે આપણા પર તેની અસરો થાય છે.  આપણા ઋષિઓ એ આ વિષે બહુજ ઉંડાણ  પૂર્વક જાણતા હતા. અને આથી જ કેટલાક રિવાજો અને ઉજવણી ની રીતો ને  ધર્મ અને તહેવારો સાથે જોડી જેનાથી ઋતુ અને વાતાવરણ ની આ અસરો ને આપણે શક્ય તેટલી ઓછી કરી શકાય.
આયુર્વેદ એ જીવન નું વિજ્ઞાન છે.
ચાલો હવે આપણે આયુર્વેદ થી આપણા પ્રશ્ન ને સમજીએ.
આપણું શરીર એ મુખ્ય ત્રણ દોષો નું બનેલું છે, વાયુ, પિત્ત અને કફ.
આપણા આહાર , વિહાર, આપણે જ્યાં રહીયે છીએ તેની આબોહવા, અને ઋતુઓ  આ તમામ ની આપણા શરીર અને આપણા દોષો ઉપર અસર પડે છે.
ચાલો આજે આપણે તેમાંથી માત્ર ઋતુઓ ની અસરો સમજીએ.
આયુર્વેદ પ્રમાણે “શરદ ઋતુ” એ ગુજરાતી મહિના ના અંતિમ 2 મહિના  ભાદરવો અને આષો નો સમયગાળો માનવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન આપણા શરીર માં પિત્ત નો પ્રકોપ થતો હોય છે. જેના કારણે જ  આ સમય દરમિયાન આપણા શરીર માં પિત્ત થી થનારા રોગો નું પ્રમાણ પણ વધી જાય છે. જેમકે આ ઋતુ માં તાવ, શરીર માં ગરમી નું પ્રમાણ વધવું, ફલૂ જેવી બીમારીઓ, શરીર માં ચામડી ના વિકારો ,  મૂત્રમાર્ગ માં બળતરા કે ઇન્ફેકશન, એસીડીટી, જેવા રોગો વધુ જોવા મળે છે. આ ઉપરાંત   મેલેરિયા, ફલૂ, ડેન્ગ્યુ, જેવા વિવિધ વાયરલ રોગો નું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.
આથી જ આયુર્વેદ માં તો આ ઋતુ ને રોગો ની માતા ગણવામાં આવી છે.
આમ આ ઋતુ માં થતા રોગો નું  મૂળ કારણ આપણા શરીર માં ઋતુજન્ય પિત્ત નો વધારો છે. આથી જો આ સમય માં પિત્ત ને આપણા આહાર , વિહાર થી  ઓછું  કરી શકીયે તો આપણે આવા રોગો થી રક્ષણ મેળવી શકીયે છીએ.
આજ કારણે આપણા ઋષિઓ એ પિત્ત ને ઓછું કરનાર એવા દૂધ નો પ્રયોગ એ ધર્મ અને તહેવારો સાથે જોડી ને આપ્યો છે.
આયુર્વેદ પ્રમાણે ગાય નું  દૂધ માં પિત્ત દોષ ને ઓછું કરવાનો ગુણ વિશેષ છે.  દૂધ સ્વભાવે શીતળ, મધુર, બળ ને વધારનારૂ, શરીર ના શ્રેષ્ઠ ધાતુ એવા ઓજ ને વધારનારૂ છે.
આ ઉપરાંત ગાય ના દૂધ  ને …
प्रवरं जीवनियानां क्षीरमुक्तं रसायनम।  – चरक संहिता
કહ્યું છે. એટલે કે તે જીવન દાતા દ્રવ્યો માં સર્વોત્તમ છે, અને તે  રસાયણ પણ છે.
ખીર અને દૂધપૌંઆ ના ભાત અને પૌંઆ અને શાકર પણ સ્વભાવે શીતળ ગણ્યા છે.
આ જ ખીર અને દૂધ ઉપર પૂનમ ના ચંદ્રમા ની ચાંદની  પડવાથી પણ તેમાં પિત્તને ઓછો કરવો નો ગુણ વધે છે.  વળી  આ જ ખીર ને પૂનમ ના ચંદ્રમાં ની ચાંદની નીચે બેસી ને જમવાથી એ ચાંદની પણ આપણા શરીર ઉપર પડવાથી વિશેષ ગરમી ઓછી કરે છે.
આમ, ખાસ પૂનમ ના રાત્રી એ તેની ચાંદની માં શીતળ થયેલું આ દૂધ કે ખીર ને ચાંદની ની શીતળતા માં બેસી ને જમવાથી શરીર ની ગરમી – પિત્ત ઓછું થવા થી અનેક રોગો નો ભય ઘટે છે.
આટલું જ નહિ  પરંતુ આપણા ઋષિ મુનિઓ એ શરદ ઋતુ ની શરૂઆત એટલે કે ભાદરવા મહિના માં જ  શ્રાદ્વ  માં  દૂધ અને ખીર ને ધાર્મિક વિધિ સાથે જોડી ને આપણા મુખ્ય ખોરાક માં  લાવ્યું. ત્યાર બાદ આ જ દૂધ અને ખીર એ નવરાત્રી (માતાજી ના અનુષ્ઠાન સમય માં ) અને શરદપૂર્ણિમા રૂપે જોડી છે.  આમ સંપૂર્ણ શરદ ઋતુ માં પિત્ત ના વધે તે હેતુ થી દૂધ નો ખોરાક માં સમાવેશ કર્યો છે.
આયુર્વેદ માં તો એથી વિશેષ પંચકર્મ દ્વારા શરીર નું શુદ્ધિકરણ આ ઋતુ માં કરાવવા નું કહ્યું છે, જેથી સમુળગા પિત્ત નો નાશ થાય અને એ આખું વર્ષ શરીર સારું રહે.  પંચકર્મ વિષે ની વિસ્તૃત જાણકારી પણ અહીં ઉપલબ્ધ છે.
પરંતુ આજે શરદપૂર્ણિમા ના દિવસે દૂધ નું પ્રમાણ ઘટતું જાય છે અને વળી પિત્ત ને વધારે તેવા ફાસ્ટ ફૂડ નું પ્રમાણ એ વધતું જાય છે.  જે આપણા સૌ કોઈ ના સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે.
તો ચાલો આપણે શરદ પૂનમ ના આ સ્વાસ્થ્ય ના રક્ષણ રૂપી પર્વ ને સહ પરિવાર સાથે ઉજવીએ.
આ જાણકારી એ સૌ કોઈ સુધી પહોંચાડી આપણા આ પ્રકૃતિ, ધર્મ, આયુર્વેદ, અને વિજ્ઞાન ના આ સમન્વય ને વળી ઉજાગર કરીએ.
આયુર્ભવ
આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ
અમદાવાદ, ગુજરાત.